ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આજ રોજ તારીખ ૦૧-૦૮-૨૦૨૩નાં દિને કુમાર શાળા ખેરગામ ખાતે શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ શાળાની સ્થાપના તારીખ ૦૧-૦૮-૧૮૮૫નાં દિને કરવામાં આવી હતી. આ શાળા માટે માટે ખેરગામ ગામનાં વતની મગનભાઈ કુંવરજી કંસારા દ્વારા ભૂમિનું દાન કરવામાં આવ્યું હતું. આ વર્ષે આ શાળાના ૧૩૮ વર્ષ પૂર્ણ થયા છે. આ શાળામાંથી શિક્ષણ લઈ શિક્ષકો, સી. એ. ઇજનેર, ડૉકટર, પ્રોફેસર, બન્યા છે. તો કેટલાક વિદ્યાર્થીઓ પોતાના વ્યવસાયમાં સફળતા મેળવી સ્થાયી થયા છે.
શાળા સ્થાપનાના શુભ અવસરે શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા એક નાનકડાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ સુંદર કૃતિ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મહેમાનો તથા ગ્રામજનો દ્વારા શાળાએ કરેલ પ્રગતિની ઝાંખી રજૂ કરી હતી.શાળાના બાળકો શાળામાં નિયમિત હાજરી આપીને ખુબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમને અંતે કેક કાપી અને તિથીભોજન લઈ કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવી. તેમજ શાળાના આચાર્યશ્રી પ્રશાંતભાઈ પટેલ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ પધારેલ સૌ મહેમાનોનો આભાર વ્યકત કર્યો હતો.
આ કાર્યક્રમમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, નવસારી જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય લીનાબેન, ખેરગામ ગ્રામ પંચાયતનાં ઉપ સરપંચશ્રી તથા પત્રકાર જીગ્નેશભાઈ પટેલ, ખેરગામ ગ્રામ પંચાયતનાં પૂર્વ સરપંચશ્રી કાર્તિકભાઈ પટેલ, ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખશ્રી ફતેહસિંહ સોલંકી, નિવૃત્ત કેન્દ્ર શિક્ષક રમેશભાઈ પટેલ, ગામનાં વડીલ ઘેલાભાઈ પટેલ, અંકુરભાઈ શુકલા, ભરતભાઈ ભરતિયા, નિશાંતભાઈ, ગ્રામજનો અને એસ.એમ.સી.નાં સભ્યો, વાલીઓ હાજર રહ્યા હતા.










Comments
Post a Comment