ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
મોટાપોંઢાની કોલેજમાં સાહિત્યકાર મણીલાલ હ.પટેલનું વકતવ્ય યોજાયુ.
કપરાડા તાલુકાના મોટાપોંઢા ખાતે આવેલી શ્રી મુમ્બાદેવી આર્ટસ એન્ડ શ્રીમતી એસ.આર.ચમારિયા કોમર્સ કોલેજમાં ગુજરાતના પ્રતિષ્ઠિત સાહિત્યકાર મણીલાલ હ.પટેલનું વકતવ્ય યોજાયું હતું. ઈન્ચાર્જ આચાર્ય ડો. એસ.યુ. પટેલના અધ્યક્ષપણા હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં મણીલાલ હ.પટેલે ગુજરાતી સાહિત્ય જગતનો વિશિષ્ટ પરિચય કરાવ્યો હતો. વિદ્યાર્થીઓનું વિદ્યા તેજ વધુ વિસ્તરે અને અધ્યાપકોનું અધ્યયન વધે એવું વિદ્રતાસભર વકતવ્ય ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરિવારે મન ભરીને માણ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. ડો. આશાબેન ગોહિલે કર્યું હતું.
સ્રોત : માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૩૦ સપ્ટેમ્બર



Comments
Post a Comment