ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
નવી ભૈરવી પ્રાથમિક શાળામાં આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું.
તારીખ:૨૯/૧૨/૨૦૨૩નાં દિને નવી ભૈરવી પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો હતો. ગ્રામ પંચાયતના સરપંચશ્રી સુનિતાબેન આર.પટેલના હસ્તે આનંદમેળો ખુલ્લો મુકાયો હતો. એસએમસીના અધ્યક્ષ નવીનભાઈ પટેલ તેમજ એસએમસીના સભ્ય નીતિનભાઈ પટેલ સહિત અન્ય સભ્યો, અન્ય શાળામાંથી પધારેલ શિક્ષકમિત્રો અને ગ્રામજનો આનંદ મેળામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ આનંદ મેળામાં શાળાનાં ઘણા બધા બાળકોએ ભાગ લીધો હતો.જેમાં ૨૦ જેટલા પ્રકારના જુદાં જુદાં સ્ટોલ ઉભા કર્યા હતા. મોટી સંખ્યામાં ગામજનોએ આનંદ મેળામાં ભાગ લીધો હતો અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમને અંતે શાળાના આચાર્ય શ્રી અરવિંદભાઈ પટેલએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.




Comments
Post a Comment