ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
Khergam : ખેરગામ બંધાડ ફળિયા ખાતે નવી આંગણવાડીનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું.
ખેરગામ બંધાડ ફળિયાના નવી આંગણવાડી બનાવવા છેલ્લા ઘણા સમયથી ઉઠેલી માંગ અને સ્થાનિક આગેવાનોની રજૂઆતના પગલે મનરેગા યોજના અંતર્ગત આંગણવાડીનું નવું મકાન બનાવવા માટે રૂપિયા 10 લાખની ગ્રાન્ટ મંજુર થતાં ગામના પ્રથમ નાગરિક એવા મહિલા સરપંચશ્રી ઝરણાબેન પટેલના હસ્તે આંગણવાડીના મકાન બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
જેમાં ખેરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સશીનભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, ધનસુખભાઈ પટેલ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો શૈલેષભાઈ, હેમલતાબેન, પ્રિયંકાબેન, સુભાષભાઈ, નીલમબેન અને ફળિયાના રહીશો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.સરપંચ ઝરણાબેન પટેલે જણાવ્યું કે બંધાડ ફળિયામાં પ્રથમવાર આંગણવાડીનું નવું બાંધકામની કામગીરી શરૂ થતાં બાળકોને નવી સુવિધા પ્રાપ્ત થશે.



Comments
Post a Comment