Skip to main content

ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

  ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

ખેરગામ: પ્રધાનમંત્રી તરીકે શપથ લેતા ખેરગામના કાર્યકરોએ ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો.

   ખેરગામ: પ્રધાનમંત્રી તરીકે શપથ લેતા ખેરગામના કાર્યકરોએ ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો.

લોકસભાની ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે તેવો માહોલ જોવા મળ્યો હતો. સાથી પક્ષો સાથે એનડીએ ગઠબંધનની સરકાર બનતા નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેતા ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.ખેરગામના ગાંધી સર્કલ પાસે ભાજપના મહામંત્રી શૈલેષભાઈ ટેલર, તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ઉપપ્રમુખ લીનાબેન મહિલા મોરચાના પ્રમુખ જીજ્ઞાબેન,ભાજપ અગ્રણી પ્રશાંતભાઈ, ડેપ્યુટી સરપંચ જિજ્ઞેશભાઈ, યુવા મોરચા પ્રમુખ ચેતનભાઈ, દિનેશભાઈ, શરદભાઈ, સંજયભાઈ સહિતના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. દિલ્હી ખાતે એક તરફ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ કર્યા અને બીજી તરફ ખેરગામ તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી, ફટાકડા ફોડીને પોતાની આનંદની લાગણી વ્યક્ત કરી હતી.


Comments