ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
Khergam: ખેરગામની ITI માં વિશ્વ રક્તદાતા દિવસે રક્તદાન કેમ્પમાં 29 યુનિટ રક્ત એકત્ર.
14 જૂન વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગ થી ખેરગામ આ.ઈ.ટી.આઈ અને ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પની શરૂઆત ઉપસ્થિત ખેરગામ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ઝરણાબેન,ડેપ્યુટી સરપંચ જીગ્નેશભાઈ,શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના વિરેનભાઈ ગાંધી,દેવલબેન મોદી સહિતના અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને રક્તદાન કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રક્તદાન કેમ્પમાં આ.ઈ.ટી.આઈમાં અભ્યાસ કરી રહેલા યુવાનો તેમજ ખેરગામના કેટલાક રક્ત દાતાઓએ રક્તદાન કર્યું હતું.રક્તદાન કેમ્પમાં 29 જેટલી રક્તની બોટલ એકત્રિત થયું હતું.

Comments
Post a Comment