Skip to main content

ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

  ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા' વઘઇનો ગીરાધોધ

Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા'  વઘઇનો ગીરાધોધ

અહેવાલ : મનોજ ખેંગાર 

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૫: ભારતના દિલ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશના ભેડાઘાટ (જબલપુર) સ્થિત 'ધુંઆધાર વોટરફોલ' ની યાદ અપાવતો, અને ડાંગના નાયગ્રા તરીકે ઓળખાતો આંબાપાડા (વઘઇ)નો 'ગીરાધોધ', ખાસ કરીને ચોમાસામા ડાંગ અને સાપુતારાના પ્રવાસીઓની પહેલી પસંદ છે. 

સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળી અરબ સાગર સુધી પહોંચતી અંબિકા નદી, અહીં ત્રણસો ફૂટના વિશાળ પટમા, શાંત અને ધીર ગંભીર સ્વરૂપે વહે છે. જે નદી અહીં કાળમીંઢ શિલાઓ ઉપરથી સો ફૂટ નીચે જ્યારે ખાબકે છે ત્યારે, અહીં આવતા પર્યટકોને ભેડાઘાટના 'ધુંઆધાર વોટરફોલ'ની યાદ અપાવી જાય છે. 


હા, તમે ડાંગના નાયગ્રા ધોધ તરીકે ઓળખાતા આ વોટરફોલની નજીક જાઓ, તો હવા સાથે સો ફૂટ ઊંચેથી નીચે ખાબકતા જળપ્રપાતમાંથી ઉડતી પાણીની બુંદ, ધૂમ્રશેર તમને ચોક્કસ જ ભીંજવી નાખે. 

અંબિકા નદીનુ આ મનમોહક અને અતિ રમણીય દ્રશ્ય જોવા, જાણવા, અને માણવા માટે ખાસ કરીને ચોમાસાની ઋતુમા અહીં પર્યટકોનો મેળાવડો જામે છે. 

પ્રકૃતિના ચાહક એવા પર્યટકોની અહીંની મુલાકાત તેમના માટે એક યાદગાર સંભારણુ બની રહે તે માટે, રાજ્ય સરકારના પ્રવાસન મંત્રાલયે અહીં પાયાકિય સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને, પ્રકૃતિપ્રેમી પર્યટકોને પ્રકૃતિનો અણમોલ નજારો માણવાની સુગમતા કરી આપી છે. 

'ગીરાધોધ' ખાતે ગત વર્ષોમાં રૂ.૨.૧૫ કરોડના ખર્ચે 'સોવેનિયર શોપ સંકુલ' તૈયાર કરીને, સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવા સાથે 'અતિથિ દેવો ભવ' ની અહીંની ભાવનાને ઉજાગર કરવાની પણ રાજ્ય સરકારે નેમ વ્યક્ત કરી છે.

અહીં ૩૨ જેટલી દુકાનોના માધ્યમથી પર્યટકોને સુવિધા મળવા સાથે સ્થાનિક પરિવારોને રોજગારી મળી રહે, અને અહીં આવતા હજ્જારો પર્યટકોને સ્થાનિક ચીજવસ્તુઓ સહિત ખાણીપીણીની સુવિધાઓ પણ સરળતાથી મળી રહે, તથા ડાંગની 'અતિથિ દેવો ભવ'ની સંસ્કૃતિ અને સંસ્કારને પણ ઉજાગર કરી શકાય તેવા અભિગમ સાથે, દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા 'ગીરાધોધ પરિસરીય પ્રવાસન વિકાસ સહકારી મંડળી-આંબાપાડા' ને આ દુકાનોનુ પી.પી.પી. ધોરણે સંચાલન સોંપીને, ૩૨ પરિવારોને સીધી રોજગારી પુરી પાડી છે. 


અહીં આવતા પ્રવાસીઓની સુરક્ષા બાબતે પણ સૌને સચેત રહેવાનો અનુરોધ કરતા જિલ્લા વહીવટી તંત્રે અહીં વિવિધ માર્ગદર્શક બોર્ડ મૂકીને, પર્યટકોને ગીરાધોધ, અને નદીમા ન્હાવા કે ઉતરવાની મનાઈ ફરમાવી છે. ભૂતકાળમા અહીં એક બે નહિ, પુરા બાવીસ લોકો તેમનો અમૂલ્ય જીવ ગુમાવી ચુક્યા હોવાની વિગતો પણ અહીં દર્શાવાઇ છે. 


વન વિસ્તારમા પ્રવાસે આવતા પ્રવાસીઓને વન જતન અને સંવર્ધનના કાર્ય માટે પ્રોત્સાહિત કરવા સાથે, સમગ્ર ડાંગ જિલ્લાને વન વિભાગે 'નો પ્લાસ્ટિક ઝોન' જાહેર કર્યો છે ત્યારે અહીંના પર્યાવરણને કોઈ નુકશાન ન પહોંચે તેની તકેદારી દાખવવા પણ વન વિભાગે અપીલ કરી છે. 


ડાંગના જુદા જુદા પર્યટન સ્થળોએથી તમે ડાંગ જિલ્લાની યાદગીરીરૂપે વાંસની વિવિધ બનાવટો જેવી કે રમકડા અને શો પીસ સહિત નાગલી અને તેના વિવિધ ઉત્પાદનોની ખરીદી કરી શકો છો. ગીરાધોધ ખાતે સ્થાનિક વેપારી પરિવારો પર્યટકો સાથે તાદાત્મ્યતા કેળવી, તેમના વેપાર ધંધાના વિકાસ સાથે ડાંગ જિલ્લાના આતિથ્ય સત્કારની ઉચ્ચત્તમ પરંપરાનો પણ પરિચય કરાવી રહ્યા છે. 

વઘઇના આ 'ગીરાધોધ' ઉપરાંત ગુજરાતનો સૌથી ઊંચો સુબિર તાલુકાના ગિરમાળ ગામનો 'ગિરમાળ ધોધ' પણ પ્રવાસીઓનો માનીતો અને ચહિતો ધોધ છે. ત્રણસો ફૂટની ઊંચાઈએથી નીચે ખાબકતો જળપ્રપાત પર્યટકોને રૌદ્ર અને રમ્ય અહેસાસ કરાવે છે. અહીં પણ જિલ્લા પ્રવાસન સમિતિ, અને ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી પાયાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. આ ધોધ તરફ જતા માર્ગમાં આવતો પૂર્ણાં નદીનો 'સી વ્યૂ' પર્યટકોને પૂર્ણાં સેન્ચુરીનો એરિયલ વ્યુ પ્રદાન કરે છે.



તો આહવાના સીમાડે આવેલા 'શિવ ઘાટ' અને 'યોગેશ્વર ઘાટ' ના બે ટુરિસ્ટ ફ્રેન્ડલી વોટરફોલ શિવજી સહિત પર્યટકો ઉપર પણ જળાભિષેક કરે છે. મહાલ-બરડીપાડા રોડ ઉપરનો 'મહાલ વોટરફોલ', ચનખલની સીમમાં આવેલો 'બારદા ધોધ', ડોન ગામનો 'દ્રોણ ધોધ', પાંડવા ગામનો 'અંજની ધોધ', માયાદેવીનો 'સ્ટેપ ધોધ' ચોમાસાની ભીની ભીની મોસમમાં પ્રકૃતિપ્રેમીઓને આકર્ષી રહ્યા છે.

ઊંચા ઊંચા ડુંગરો ઉપરથી નીચે ખીણમાં ખાબકતા શ્વેત દુગ્ધધારા જેવા અનેક નામી અનામી જળધોધ ઉપરાંત, ખીણ પ્રદેશમાં જાણે કે આકાશમાંથી પોતાના પ્રિયતમથી વિખૂટી પડી, એકલી અટુલી અટવાતી શ્વેત શ્યામ વાદલડી અને તેની ધૂમ્રશેર ડાંગના સૌંદર્યને ચાર ચાંદ લગાવી દે છે. આવા માદક અને મનમોહક માહોલને માણવું હોય તો પ્રાકૃતિક ડાંગ જિલ્લો તમને સાદ દઈ રહ્યો છે.

વરસાદી વાયરાની વચ્ચે ચોમાસાની હેલીથી તરબતર વનસૃષ્ટિમાં ડુંગરા ખૂંદવા માટેની ચાહ હોય, તેને માટે આ બધી રાહ આસાન છે ! બાકી તો ડુંગરા દૂરથી રળિયામણા એમ માનીને ટેલિવિઝનના પડદે, અને અખબારો, સામયિકોના પાને આ જળધોધના આકર્ષક ફોટોગ્રાફસ જોઇને જ મન મનાવવુ પડે ! અને હાં, આ જળધોધની મુલાકાત લઇને પ્રકૃત્તિના નજારાને મનભરીને માણવાનું તો સૌને ઇજન છે જ. પરંતુ રોમાંચ અને ક્ષણિક આવેશના જોશમાં સેલ્ફી કે ફોટોગ્રાફીની ઘેલછામાં, ક્યાંક અજુગતુ ન બને તે માટે સભાન રહેવુ પણ એટલુ જ જરુરી છે.


ચોમાહાની ખરી મઝા તો ડાંગમાં જ આવે - ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા' વઘઇનો...

Posted by Info Dang GoG on Monday, July 15, 2024

Comments

Popular posts from this blog

ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી.

             તારીખ ૦૯-૦૮-૨૦૨૩નાં દિને ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી. સૌ પ્રથમ બિરસા મુંડા સર્કલ પાસે ખેરગામ તાલુકાનાં અલગ અલગ ગામોમાંથી ૧૦ જેટલા ડી.જે. અને તૂર વાજિંંત્ર સાથે લોકો ભેગા થયા હતાં.નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી પ્રમુખ શ્રી નિરવ પટેલ, ગામનાં પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલ, અને  ઉપસ્થિત આદિવાસી નેતાઓ દ્વારા ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી. ત્યાર બાદ મણીપુર  રાજ્યમાં આદિવાસી સ્ત્રીઓ સાથે થયેલ જઘન્ય ઘટના બાબતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યાર બાદ ડીજેના  અને તૂરના તાલે નાચગાન કરતા કરતા રેલી કાઢ્વામા આવી હતી. બજારમાં વ્હોરા સમાજ અને શ્રીજી  હોટેલનાં માલિક શ્રી પ્રકાશભાઈ મોદી દ્વારા આદિવાસી નેતાઓને પુષ્પ્માળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યુ હતું.                ખેરગામ બજાર થઈને રેલી બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે પહોંચી હતી. બાબા સાહેબ આંબેડકરને પુષ્પાજંલી અર્પણ  કરી રેલી દશેરા ટેકરી પાસે મહાત્મા ગાંધી...

ખેરગામ કુમાર શાળા ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

                       ખેરગામ ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો હતો. જેમાં  ખેરગામ, શામળા ફળિયા, બહેજ, પાટી અને પાણીખડક એમ પાંચ સી.આર.સીની કુલ ૩૫ એન્ટ્રી આવી હતી. જેમાં વિભાગ -૧  ફાઉન્ડેશનલ સ્ટેજ વાર્તા કથનમાં બહેજ પ્રાથમિક શાળાની ભવ્યા વિપુલભાઈ પટેલ પ્રથમ ક્રમાંક, વિભાગ - ૨ પ્રીપેટરી સ્ટેજ વાર્તા કથનમાં નાંધઈ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી ધૃવ ઉદયભાઈ પટેલ પ્રથમ ક્રમાંક, વિભાગ - ૩ મિડલ સ્ટેજ વાર્તા નિર્માણમાં કન્યા શાળા ખેરગામની વિદ્યાર્થિની ધ્રુવી સુનિલભાઈ પટેલ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.                           જ્યારે સંગીતવાદન સ્પર્ધામાં બંધાડ  ફળિયા પ્રાથમિક આછવણીનો વિદ્યાર્થી કેવલ્ય જયેશભાઇ પટેલ ધોરણ -૮ નો પ્રથમ ક્રમાંક, સંગીતગાયન સ્પર્ધામાં દેશમુખ  ફળિયા પ્રાથમિક શાળા કાકડવેરીની વિદ્યાર્થિની યુતિકા  સુનિલભાઈ ગાંગોડા ધોરણ -૮ પ્રથમ ક્રમાંક, ચિત્ર સ્પર્ધામાં વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળાની  વિદ્યાર્થિની અર્ચના કે પટેલ ધોરણ -૮ પ...

Rumla : ધારાસભ્ય નરેશભાઈ પટેલ દ્વારા ધોરણ -૧૦ અને ધોરણ -૧૨નાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

        Rumla : ધારાસભ્ય નરેશભાઈ પટેલ દ્વારા ધોરણ -૧૦ અને ધોરણ -૧૨નાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી. તારીખ ૧૧-૦૩-૨૦૨૪નાં દિને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડની પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્ર જાગૃતિ વિદ્યાલય રૂમલા ખાતે ચિખલી અને ખેરગામ વિસ્તારની વિવિધ શાળાઓના ૪૫૦થી વધુ  વિદ્યાર્થીઓને ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ પોતે પરીક્ષા સ્થળ પર ઉપસ્થિત રહી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.